*ચામડીની એલર્જી 'શીળસ'*
દરેક માણસને જુદીજુદી રીતે હેરાન કરતી એલર્જીની બીમારીઓમાં ૨૦% લોકોને જિંદગીમાં એક વખત ચામડીની એલર્જી જેને શીળસ કહેવામાં આવે છે તેનાથી હેરાન થવું પડે છે. તેમાં સ્ત્રીઓમાં પુરુષો કરતાં આનું પ્રમાણ વિશેષ જણાય છે. બાળકો પણ આ તકલીફથી પીડાય છે.
' શીળસ' થવાનાં કારણો
કેટલાક પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે કઠોળ, સીંગદાણા, ઈંડાં, જેલીફિશ, મટન, માછલી વગેરે ખાધા પછીથી.
કેટલાક ખાટા, આથાવાળા, પડી રહેલા ખોરાક લેવાથી.
દવાઓ જેવી કે પેનિસિલિન, સલ્ફા, એસ્પીરીન વગેરે લીધા પછીથી.
જીવજંતુઓ, મધમાખી, કીડી, મંકોડા, ભમરી વગેરેના કરડવાથી, પહેલાં કરડેલી જગ્યાએ લાલ ચાઠાં જેવું થાય છે, પછીથી આખા શરીરે શીળસ દેખાય છે.
બાળકને રસીઓ આપવાથી, બહારનું લોહી ચડાવવાથી કે લોહીની બનાવટો ઈંજેક્શન રૂપે આપ્યા પછીથી આવું થાય તો તરત જ આપનાર ડોક્ટરને બતાવી દેવું.
કેટલાંક કૂતરાં, બિલાડી જેવાં પ્રાણીઓની લાળના સંસર્ગથી.
હવામાં ઊડતી પરાગરજ, ફૂગ, ધૂળની રજકણ, અવાવરુ રજના શ્વાસમાં જવાથી, શ્વસનતંત્રની એલર્જી સાથે કે તેના વગર શીળસ થઈ શકે છે.
ચામડી પર લગાડેલી દવાના સંસર્ગથી કે રસાયણ, કોસ્મેટિક, દાગીના ડાયપર, કૃત્રિમ રેસાનાં કપડાં, ડાઘા સાથેનાં કપડાં વગેરેના સંસર્ગથી તરત જ ચામડી પર ખંજવાળ ઊપડી લાલ ચાઠાં સાથે શીળસ થતી જણાય તો ખબર પડી જશે કે દર્દીને શેની એલર્જી છે?
ચેપી રોગો, વાઈરસ, બેક્ટેરિયા, ફૂગ કે કેટલાક એકકોષી જીવોનો ચેપ લાગવાથી ચામડી પર શીળસ નીકળી શકે છે.
કેટલાંક ભૌતિક કારણો જેવાં કે સખત ઠંડીથી, દબાણ આવવાથી, સૂર્યપ્રકાશની તીવ્રતાથી વગેરેને લીધે પણ શીળસ થઈ શકે છે.
કેટલીક કૌટુંબિક અને વારસાગત બીમારીઓથી પણ શીળસ થતી જણાય છે.
શરીરમાં રહેલા કેટલાક રોગો જેવા કે લોહીનું કેન્સર, લીમ્ફોમા, હાઈપર થાઇરોઈડ વગેરેને લીધે પણ શીળસ થતી જણાય છે.
છેલ્લે માનસિક કારણો જેવાં કે તનાવ, દબાણ, ચિંતા, શોક વગેરેને લીધે પણ શીળસનો હુમલો વધતો જણાય છે.
શીળસનાં ચિહ્નો અને નિદાન
દર્દી જેવો એલર્જનના સંપર્કમાં આવે કે તરત જ ચામડી ઉપર ખંજવાળ ચાલુ થાય છે.
લાલ કલરના ઊપસી આવેલાં, કિનારી બંધાયેલાં ચાઠાં જોવા મળે છે. જે જુદીજુદી જગ્યાએ જુદાજુદા આકારના અને સાઈઝના જણાય છે. તે આપમેળે બેસી જાય છે.
અમુક કિસ્સાઓમાં તે એક વાર થયા બાદ વળી જુદી જગ્યાએ નવેસરથી પણ થાય છે. પછી બાળક જેમ વલૂરે તેમ અંદર વધારે ખંજવાળ આવે છે. સાથેસાથે મોં પર અને હોઠની આજુબાજુ સોજો આવે તેને 'એન્જિઓઈડીમા' કહે છે, જે કોઈ વખત જોવા મળે છે, તો કોઈ કેસમાં જોવા મળતું નથી.
શીળસ નીકળ્યા પછી ૪૮ કલાકમાં આપમેળે બેસી જાય છે કે દવાથી બેસી જાય છે. કેટલાક કેસોમાં તે લાંબો વખત નીકળ્યા કરે અને ૬ અઠવાડિયાંથી વધારે સમય જતો રહે તો તેને 'કાયમી શીળસ' કહી શકાય.
શીળસની સારવાર અને બચવાના ઉપાયો
દર્દીને શીળસ શેનાથી થાય છે, એટલે કે એલર્જન પકડાઈ જાય પછી તેનાથી દૂર રહેવું એ પહેલી સારવારની શરત છે. કેટલાક કેસોમાં બાળકને શેની એલર્જી છે, તે પકડવું ખૂબ મુશ્કેલ હોય છે. તેમાં પણ ઉપર જણાવેલાં તમામ કારણો એક પછી એક ચકાસીને નક્કી કરવું પડે છે કે, દર્દીને એલર્જી શેની છે?
આવે વખતે નવા પ્રોટીનયુક્ત ખોરાક, દવાઓ, કોસ્મેટિક્સ, રસાયણો, કૃત્રિમ રેસાનાં કપડાં વગેરે તમામ બંધ કરવા પડે છે. શીળસ નીકળે પછી ૪૮ કલાકમાં આપમેળે બેસી જતી બીમારી છે, પરંતુ તે વખતે 'એન્ટિહિસ્ટામીન' દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોરાટીડીન, સેટ્રીઝીન વગેરે દવાઓ અપાતી હોય છે, પરંતુ આવી કોઈ દવા જાતે લઈ લેવાને બદલે ડોક્ટરની સલાહ મુજબ જ લેવી વધુ હિતાવહ છે.
કાયમી અને હઠીલી શીળસ માટે 'સ્ટીરોઈડ' મલમ કે ગોળી અને નસમાં 'ઇમ્યુનોગ્લોબ્યુલીન' આપી શકાય છે. અંતે જરૂર પડે લોહીના 'પ્લાઝમા'ની ફેરબદલી પણ કરવી પડે છે.
આમ, ચામડીની એલર્જી શીળસથી બહુ ડરવાની જરૂર નથી, પરંતુ તેની તકલીફો જોતાં એક વખત નિષ્ણાત ડોક્ટરને બતાવી પાકું નિદાન કરાવવું જરૂરી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો